બાળરોગનુ સર્વોતમ ઔષધ એટલે અતીવીષની કડી, ઝાડા માટેનું ઉત્તમ ઔષધ છે

0

અતીવીષની કળી કંઈક ગરમ,તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર,ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ,વીષ, ઉલટી, તૃષા, કૃમી, મસા, સળેખમ, અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે.

અતીવીષ સર્વદોષહર, દીપનીય-પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે. જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની, આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રીયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ, પીત્તાદી દોષોને શાંત કરવાની જરુર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે. આ ઉપરાંત અતીવીષ લેખનીય-ચોંટલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે. અતીવીષની કળી ધોળી, કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે. પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે. કળી ભાંગીને અંદરથી સફેદ હોય તે જ લાવીને વાપરવી. અતીવીષ અતીસાર-ઝાડાનું ઉત્તમ ઔષધ છે. કોઈ પણ પ્રકારના ઝાડામાં દીપન, પાચન અને સંગ્રાહી ઔષધની જરુર હોય છે.

અતીસારમાં આ ત્રણે ગુણ છે અને તે આમનાશક પણ છે. આથી અતીસારમાં સુંઠ અને અતીવીષની કળી બંનેનું ૫-૫ ગ્રામ ચુર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું. અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું. એનાથી આમનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે. કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય. અતીવીષ દીપન, પાચન અને સંગ્રાહી છે. તેથી તે ઝાડાનું ઉત્તમ ઔષધ છે. રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે. અતીવીષની કળીને અતીવીષા પણ કહે છે. એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી. એ બાળકોનું ઔષધ છે. જે બાળકને કાચા, ચીકણા કે પાતળા ઝાડા થતા હોય તેમના માટે એ ઉત્તમ ઔષધ છે. અતીવીષ ઉત્તમ આમપાચક પણ છે. વળી એ કડવાશને લીધે તાવ,પેટના કૃમી અને કફનો નાશ કરે છે. અતીવીષનું ચુર્ણ બાળકોને આખા દીવસમાં અડધી ચમચી જેટલું પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો. માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here