શરીરની વધારાની ચરબી દૂર કરવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઔષધિ ધાન્ય

0


જવના છોડ ઘઉં જેવા અને એટલા જ ઊંચા થાય છે.  ગુજરાત અને રાજસ્થાનમાં તેનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે. જવના આયુર્વેદમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવાયા છે.

(૧) તીક્ષ્ણ અણીવાળા જવને ‘યવ’ કહે છે,

(૨) અણી વગરના જવને ‘અતિયવ’ અને

(૩) લીલાશ પડતા, અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહે છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં તોક્ય જવ ઓછા ગુણવાળા ગણાય છે.

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે (ઘઉં કરતાં હળવા), જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, લેખન (દોષોને ઉખાડનાર), વાયુ અને મળને ખૂબ જ વધારનાર છે. તે કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં હિતકારી છે. જવ પથરી, કિડની અને મેદજન્ય રોગોનું ઉત્તમ ઔષધ છે.

રાસાયણિક દૃષ્ટિએ જવમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોહ વગેરે ખનિજદ્રવ્યો તથા વિટામિન બી-૧, બી-૨ અને વિટામિન એ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.

ઉપયોગો  …આયુર્વેદ પ્રમાણે જવ મેદ અને કફનો નાશ કરનાર છે. એટલે તે મધુપ્રમેહ (ડાયાબિટીસ)ના દર્દીઓ માટેનો ઉત્તમ આહાર છે. જવના આહારથી શર્કરાનું પ્રમાણ વધતું નથી. જેમના શરીરમાં ચરબી-મેદનું પ્રમાણ વધારે હોય તેમના માટે પણ જવ હિતકારી છે.

જવનો આહારમાં ઉપયોગ કરવા માટે જવને ખાંડી, ફોતરાં દૂર કરી, એક કલાક ગૌમૂત્રમાં પલાળી, સૂકવી લેવા. આ રીતે સાત દિવસ કરવું. એ જ રીતે ત્રિફળાના ઉકાળામાં સાત દિવસ જવને ઉપર મુજબ પલાળવા અને સૂકવવા. પછી આ જવને શેકીને તેના લોટમાંથી બનાવેલી રોટલી, ભાખરી વગેરેનો આહારમાં ઉપયોગ કરવો. ડાયાબિટીસના દર્ર્દી અને મેદસ્વી સ્ત્રી-પુરુષો માટે આ ઉપચાર આહાર અને ઔષધ બંનેની ગરજ સારે છે. બેડોળ શરીરની વધારાની ચરબી ધીમે ધીમે દૂર થઈને શરીર સુંદર અને ઘાટીલું બને છે. આ ઉપચારમાં ગૌમૂત્રનો ઉપયોગ જો સુગમ્ય ન હોય તો માત્ર ત્રિફળાના ઉકાળાનો ઉપયોગ કરવો.

આશરે બે ચમચી જવને એક ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવા. ત્રણ-ચાર ઊભરા આવે એટલે ગાળીને એ પાણી ઠંડું પાડવું. આયુર્વેદમાં આ જવના પાણીને ‘યવમંડ’ અને ઇંગ્લિશમાં ‘બાર્લીવોટર’ કહે છે. બાર્લીવોટર કિડની, પથરી અને મૂત્રમાર્ગની તકલીફો માટે ઉત્તમ ઔષધ છે. દિવસમાં થોડું થોડું બાર્લીવોટર પીતા રહેવાથી તરસ, ઝાડા, ઊલટી, મૂત્રની બળતરા, મૂત્રમાર્ગની પથરી, મૂત્રનો અવરોધ-દુખાવો વગેરે સર્વ વિકારોમાં લાભ થાય છે.

જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ (જવખાર) મેળવવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જો નાનાં બાળકોને વારંવાર શરદી, સસણી, છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here