શરીરમાં વાયુનાં લીધે થતા વિકારોને હાંકી કાઢતું દમામદાર ઔષધ

0

તમામ પ્રકારના દુ:ખાવા માટે હિંગ, સંચળ અને સૂંઠનો ઔષધયોગ ખૂબ જ ઉપયોગી છે. સ્પેનિશ લોકો અને આપણા આદિવાસીઓ ફ્લુમાં ગળે હિંગની પોટલીઓ બાંધતા…
પાંચથી આઠ ફૂટ ઊંચા હિંગનાં વૃક્ષો થતાં હોય છે. તેના મૂળમાં છેદ કરવાથી એક પ્રકારનો રસ નીકળે છે અને ગઠ્ઠા સ્વરૂપે ત્યાં જ જામી જાય છે. તેને ઉખેડીને વપરાશમાં લેવામાં આવે છે. હિંગના વૃક્ષમાંથી નીકળેલો રસ ગઠ્ઠા સ્વરૂપે થયા પછી તેને પાણીમાં નાખી ઓગાળી નાખવામાં આવે છે. એટલે વાસણમાં રેતી વગેરે નીચે બેસી જાય છે. ઉપરના પાણીને ધીમા તાપે ઉકાળી નાખી જે હિંગ રહે છે તે શુદ્ધ હિંગ રહે છે. આ હિંગ શરીરમાં વાયુ અને કફનું સંતુલન કરવામાં મદદરૂપ થાય છે. તેનો પાચક ગુણ ખોરાકને પચાવવામાં ખૂબ ઉપયોગી છે. માટે જ અડદ અને કાચી કેરીના અથાણા અને પાપડમાં તે અત્યંત જરૂરી સામગ્રી છે. તેની સુગંધ પણ લોભાવનારી છે અને રસોઈને તે સ્વાદિષ્ટ બનાવે છે.

સંશોધન : ઇન્ફ્લ્યુએન્ઝના H1N1 વાયરલ ઈન્ફેક્શન એટલે કે સ્વાઈન ફ્લુ પરના ૨૦૦૯ના સંશોધન પત્રમાં હિંગએ નેચરલ એન્ટીવાયરલ તત્ત્વ ધરાવે છે તેવું નોંધાયું છે, માટે આ વાયરલ ઈન્ફેક્શનના ઉપયોગ કુદરતી તરીકે તે વિકસે તેમ છે.

આયુર્વેદનાં શાસ્ત્રોમાં તમામ પ્રકારના દુ:ખાવા માટે હિંગ, સંચળ અને સૂંઠનો ઔષધયોગ ઉપયોગી ગણાવાયો છે.

ગેસને કારણે પેટ અને છાતીનો દુ:ખાવો તો ગણતરીની ઘડીઓમાં આ યોગથી મટી શકે છે. પરંતુ ગરૂડપુરાણ પ્રમાણે હૃદયમાં થતો દુખાવો આ ઔષધયોગથી મટે છે.

અરુચિ : ખોરાક પ્રતિ રુચિ ન થતી હોય કે ખોરાક ખાધા પછી પચતો ન હોય ત્યારે અને પેટની તમામ ગરબડ માટે હિંગાષ્ટકચૂર્ણથી ઘણા લોકો પરિચિત છે. જેનાં હિંગ, સૂંઠ, મરી, લિડીપીપર, અજમો, સંસળ, સિંઘાલૂણ, જીરૂ, શાહજીરૂ એમ કુલ આઠ દ્રવ્યોથી બનતું હિંગાષ્ટક ચૂર્ણ ત્રણ-ત્રણ ગ્રામની માત્રા સવાર-સાંજ લેવાથી ઉપરની બધી સમસ્યા દૂર થાય છે.

ચાલક બળ : વાયુ – આંખ ખોલ – બંધ થવી, બોલવું, ચાલવું, હૃદય, ફેફસાં, કિડની, આંતરડા વગેરે આંતરિક અંગોની ક્રિયા – આ બધાનું મુખ્ય ચાલકબળ વાયુ છે. આ વાયુની ગતિ જો કોઈ પણ રીતે અવરોધાય તો વાયુનાં સ્વાભાવિક કાર્યો ખોરંભે ચડે છે, પરિણામે જે તે અંગોના કાર્યમાં અડચણ પેદા થાય છે. હિંગ આ ખોરંભાયેલા તંત્રને ખૂબ જ ઝડપથી પૂર્વવત કરે છે અને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે છે.

ઉલટી : ઉલટી થતી હોય અને પેટમાં ખોરાક, પાણી કે દવા પણ ના ટકતાં હોય ત્યારે હિંગના પાવડરમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી ડૂંટીની ઉપર અને આજુબાજુ લગાડવું. ખોરાક, પાણીને ઉપરની તરફ લઈ જતો વાયુ, હિંગના પ્રાકૃત બને છે. ધીમે ધીમે ખોરાક પાણી પેટમાં ટકવા માંડે છે અને ઉલટી સદંતર બંધ થાય છે.

મ્યુકોકોલાઈટિસ : ઘણા લોકોને સવારના સમય દરમિયાન ચારથી પાંચ વાર કુદરતી હાજતે જવું પડતું હોય છે. ઝાડામાં ચિકાશ આવતી હોય છે. જમ્યા પછી તરત જ હાજતે જવું પડતું હોય છે. આને મ્યુકોકોલાઈટિસ કહે છે. આમાં હિંગ અને કપૂરના સંમિશ્રણની બનતી ઔષધિ કપૂરહિંગુ વટી ખૂબ જ ઉપયોગી બને છે.

માસિકની સમસ્યા : સ્ત્રીઓને માસિક વખતે દુ:ખાવો થતો હોય, માસિક ખુલાસીને ન આવતું હોય, માસિક આવવાના સમય કરતાં મોડું આવે ત્યારે હિંગ ઘણી ઉપયોગી થાય છે. હિંગની અડધા – અડધા ગ્રામની માત્રા સવારે- સાંજે ફાકી જવાથી આ સમસ્યા દૂર થાય છે. રજ : પ્રવર્તીનીવડી નામની ઔષધિ કે જેમાં એક મહત્ત્વનું ઘટક હિંગનો ઉપયોગ થયેલો છે તે એકથી બે ગાળી બપોરે- સાંજે જમ્યા પછી લઈ શકાય.

Antiflatulent : પેટ ફૂલીને ઢમઢોલ જેવું થઈ ગયું હોય, વાછૂટ થતી ન હોય, અને પેટમાં ગોળો ફર્યા કરતો હોય તેવું લાગતું હોય ત્યારે હિંગને પાણીમાં ભીંજવીને ડૂંટીની આસપાસ લેપ કરવો. થોડીવારમાં વાયુ નીચે ઉતરશે અને વાછૂટ થવા માંડશે. નાનાં બાળકો ઘણીવાર પેટ ફૂલી જવાને કારણે રડતાં હોય છે, તેમને હિંગનો લેપ કરવાથી શાંત થાય છે.

દાંતનો દુ:ખાવો : લીંબુના રસમાં હિંગની પેસ્ટ બનાવી રૂ-કોટનમાં લગાવી દાઢ પાસે દબાવી રાખતાં, દાઢનો તીવ્ર દુ:ખાવો પણ મટાડે છે.

પેટમાં દુઃખાવો થતો હોય, પેટ ફુલી ગયું હોય, બાળકને પેટમાં ચૂંક આવતી હોય તેવા સમયે ઘીમાં હિંગને ઓગાળી ડૂંટી પર હિંગ ચોપડવાની પરંપરા ખૂબ જ પ્રચલિત છે. હિંગ તેની વિશિષ્ટ અસરથી નાડીનાં સંકેતોનું નિયમન કરી હોજરી-આંતરડામાં થયેલા અવરોધને દૂર કરી, વાયુને નીચેની તરફ ગતિ આપે છે.

માત્ર વાયુના આફરા-અપચા માટે જ નહી IBS-જેવા ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમમાં આંતરડામાં નાડીતંત્રની અનિયમિતતાથી ક્યારેક કબજીયાત તો ક્યારેક ઝાડા થતાં હોય તેવા રોગમાં પણ હિંગને અન્ય ઔષધિ સાથે પ્રયોજી ખૂબ સાદા ઉપચારથી રોગ મટાડવામાં આવે છે. દવા માટે જયારે હિંગનો ઉપયોગ થાય છે. ત્યારે રસા રૂપે નીકળતી શુદ્ધ હિંગ વાપરવામાં આવે છે.

માત્ર પાચનના રોગ જ નહી શ્વસનતંત્રમાં નાડીનાં અનિયમિત સંકેતને કારણે તથા કફ તથા વાયુથી થતાં રોગમાં પણ હિંગ સારું પરિણામ આપે છે. આથી જ અસ્થમા, બ્રોન્કાઈટીસ, ઉંટાટિયુ-વ્હુપિંગકફ, ખૂબ છીંકો-ખાંસી આવવી જેવી તકલીફમાં હિંગ વપરાય છે.

ફેફસાનાં રોગ માટે કાચી હિંગ કે પાણીમાં ઓગાળી હિંગ વાપરવાથી ફાયદો થાય છે. જયારે પાચનના રોગમાં હિંગને ઘી અથવા દિવેલમાં તળીને વાપરવાથી ફાયદો થાય છે.

માસિકની તકલીફમાં પણ હિંગનો ઉપયોગ પરંપરાગત રીતે થતો આવ્યો છે. દેશી ગોળમાં ૨ થી ૩ રતી આશરે ૩ મીલી ગ્રામ જેટલી હિંગ ભેળવી તેની નાની ગોળી બનાવી જમ્યા પછી નવશેકા પાણી સાથે ગળવાથી અટકી ગયેલું માસિક, ફરી ચાલુ થાય છે. માસિક દરમ્યાન પેઢુમાં થતો દુઃખાવો મટાડવા માટે પણ હિંગનો પરંપરાગત ઉપયોગ અસરકારક છે. ડિલિવરી પછી હિંગનાં ઉપયોગથી પેઢુમાં વાયુ જામી જઈ દુઃખાવો થવો, કબજીયાત, પેટ ફૂલવું, કમરનો દુઃખાવો જેવી તકલીફ પણ નિવારી શકાય છે.

સ્ત્રીઓને થતાં હિસ્ટેરિયા રોગમાં હિંગવટીનો ઉપયોગ અન્ય ઔષધિઓની સાથે કરી ખૂબ સારા પરિણામ મળે છે.

શરીર જયારે બહારથી સંકેતો મેળવી મગજને મોકલી, મગજ દ્વારા જે સૂચના-સંકેત મેળવવામાં નાડિની કાર્યક્ષમતા અને નિયમિતતા ન જળવાતી હોય તેવા પાચન, શ્વસન, ગર્ભાશય, મળાશયના રોગોમાં હિંગનો યુક્તિપૂર્વક ઉપયોગ કરી દર્દોમાં કુદરતી દ્રવ્યોથી રાહત મેળવવું શક્ય બને છે. વારંવાર બરડાની નસ ચઢી જવી, હેડકી આવવી જેવા સામાન્ય રીતે રોગ ન ગણાતા લક્ષણોથી રોગી તો હેરાન-પરેશાન હતા જ. આવા સમયે અન્ય કોઈ બીમારી કે અભાવની સંભાવના ન જણાતા, રોગીને છોડી દેવામાં આવ્યા હતા, એવું કહીને કે કોઈ જ કારણ નથી. પરંતુ આવી પરિસ્થિતિમાં સરસિયાનું માલિશ, હિંગ અને ગોળનો ઉકાળો અને જરૂર જણાય ત્યારે પાણીમાં ઓગાળેલી હિંગનું નસ્ય આપવાથી નાડીની અનિયમિતતા થઇ સ્નાયુનું ખેંચાણ-હેડકી બંધ થઇ હિંગ રાહત આપવા સક્ષમ બની હતી.

પ્રચલિત ઔષધ હિંગ્વાષ્ટક ચૂર્ણનું મુખ્ય દ્રવ્ય હિંગ છે. અપચો, ગેસ, કબજીયાત જેવી બીમારીમાં ઘી સાથે ભેળવી ૩ ગ્રામ જેટલું ચૂર્ણ જમવાના પહેલા કોળિયામાં ખાવાથી ખૂબ અસરકારક છે. હાયપર એસિડીટીથી થતાં અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here